રાજકોટમાં વધુ એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ નજીક લોધીડા ગામના ખેડૂતે ભાણેજને ઓફિસ લેવા માટે રણછોડનગરના શખ્સ પાસેથી રૂ.30 લાખ વ્યાજે લઇ આપતાં બે ત્રણ મહિના વ્યાજ ભર્યા બાદ ભાણેજ ગામ મુકી ભાગી જતાં તેના બદલે ખેડૂતે અત્યાર સુધીમાં 30 લાખ સામે કુલ 91.60 જેવી રકમ ભરી દીધી હોવા છતાં તેની પાસે વધુ રૂ.1,48,00,000ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી ખેડૂતે ખેતીની જે જમીન પર આ રકમ લીધી હતી તે જમીનનું સાટાખત આ શખ્સ પોતાના નામે કરી નાખવાની સતત ધમકી આપતો હોવાથી અંતે ખેડુતે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે મની લેન્ડ એક્ટ હેઠળ વ્યાજખોરી, ધમકીની ગુનો દાખલ આજીડેમ પોલીસે રાજકોટના લોધીડા ગામે દૂધ મંડળીની સામે રહેતાં જગાભાઇ વિસાભાઈ ઝાપડીયા (ઉ.વ.48) નામના ખેડુતની ફરિયાદ પરથી રાજકોટ રણછોડનગર વિસ્તારમાં રહેતાં પ્રકાશ પ્રભાતભાઇ ચાવડા વિરૂધ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ વ્યાજખોરી, ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેડુત જગાભાઇ ઝાપડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી દસેક વર્ષ પહેલા હું રાજકોટ રણુજા મંદીર સામે આવેલ કનૈયા ચોક ખાતે બેસતો અને મારી સાથે મારા મામાની દીકરીના દીકરા વિનોદ જસમતભાઇ ચૌહાણ તથા વિરમભાઈ ભગુભાઈ બાબરીયા તથા વિક્રમભાઇ ગીડા બેઠા હતા. દરમિયાન મને વિનોદ ચોહાણએ કહ્યું કે મામા મારે રાજકોટ ખાતે ઓફિસ ખરીદ કરવી છે જેના માટે રૂ.30 લાખની જરૂરીયાત છે તો તમે તમારી ઓળખાણથી મને કરાવી આપો જેથી રાજકોટ રણુજા મંદીર પાસે આવેલ કનૈયા ચોકમાં મારી સાથે બેસતા મારા મિત્ર વિરમભાઇ બાબરીયાએ પ્રકાશ ચાવડા પાસે કિંમતી વસ્તુ હોય તે ગીરવે મુકશો એટલે તમને પૈસાનું કરાવી આપશે કહ્યું હતું.