રાજકોટના લોધિકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવિલ વરુએ 3 શિક્ષકના ત્રાસથી સુસાઈડ નોટ અને વીડિયો બનાવી 19 ઓક્ટોબર, 2024ના આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મામલે ગતરોજ મૃતક વિદ્યાર્થીના પિતાની મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે સુસાઇડ નોટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તે 3 શિક્ષક સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કરવા બદલ બી.એન.એસ. કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના પિતા ભરતભાઈ ડુંગરભાઈ વરુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું અને પશુપાલનનો વ્યવસાય કરી મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું. મારા પરિવારમાં મારા પત્ની, એક દીકરો નામે ધ્રુવિલ (ઉં.વ.16) અને એક 13 વર્ષની દીકરી છે. દીકરી છાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. મારો દીકરો ધ્રુવિલ મોટાવડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો, જેને સ્કૂલેથી આવવા-જવા માટે અમારા ગામનાં ભાણુભા ઝાલાની સ્કૂલવાન બંધાવેલી હતી.
ગત તા.19-10-2024ના રોજ મારા દીકરા ધ્રુવિલને 6 માસિક પરીક્ષા ચાલુ હોવાથી સવારે 7.30 વાગ્યે સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. હું સવારના 9 વાગ્યે મારા માલઢોર ચરાવવા છાપરા ગામની સીમમાં ગયો હતો. બપોરના બે વાગ્યાનાં અરસામાં મારા દીકરા ધ્રુવિલના મોબાઇલમાંથી સોહમનો ફોન આવ્યો હતો કે ધ્રુવિલને મજા નથી, તમે જલદી ઘરે આવો, જેથી હું મારા માલઢોર મારા નાના ભાઈ વિજયને સાચવવાનું કહી મારા ઘરે આવ્યો હતો.