રાજકોટ લોકમેળા સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વખતે પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા 5 દિવસના ભાતીગળ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી તેને આખરી મંજૂરી માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીને મોકલી દેવામાં આવી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ આ વખતે લોકમેળામાં સાવચેતીના પગલા રૂપે સ્ટોલ અને રાઈડ્સની સંખ્યામાં કાપ મુકી દેવામાં આવેલ છે.
લોકમેળામાં સ્ટોલ અને રાઈડ્સની સંખ્યામાં કાપ મૂકવામાં આવતા સ્ટોલમાં ભાડામાં વધારો કરવામાં આવે એવી શકયતા રહેલી છે. લોકમેળામાં રમકડા અને ખાણીપીણી સહિતના અત્યાર સુધી 366 જેટલા સ્ટોલ રહેતા હતા. જેમાં આ વખતે 80 સ્ટોલનો ઘટાડો કરવામાં આવેલ છે. આ ઉપરાંત લોકમેળામાં 44 રાઈડ્સના પ્લોટ રહેતા હતા તેમાં આ વખતે 15નો કાપ મુકાયો છે. લોકમેળામાં 5-5 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નિયત કરી દેવામાં આવેલ છે તેમજ વોચ ટાવરની સંખ્યામાં પણ આ વખતે વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ ઉપરાંત કવીક રીસ્પોન્સ ટીમની પણ આ વખતે રચના કરવામાં આવશે. જે લોકમેળામાં સ્ટેન્ડ-ટુ રહેશે.