રાજકોટ મ્યુનિ.ના નિવૃત્ત એન્જિ.નો પત્ની સાથે આપઘાત

રાજકોટ શહેરમાં પતિ-પત્નીએ સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદેથી નિવૃત થયેલા વૃદ્ધ રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70)એ સાથે મળી 20 ડિસેમ્બરની મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે દીકરીને જાણ થતાં દંપતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર કારગત નીવડે તે પહેલા રાજેન્દ્રભાઈએ દમ તોડી દીધો હતો.

બે કલાક બાદ પન્નાબેનનું પણ મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં વૃદ્ધ દંપતીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં બીમારીથી કંટાળી પગલુ ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે સુસાઈડનોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉં.વ.70)એ ગઈકાલે મોડીરાત્રે 2 વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં બનાવ અંગે પોતાની સાથે રહેતી તેમની દીકરીને જાણ કરતા પરિવારના અન્ય સભ્યો એકઠા થઇ બન્ને પતિ પત્નીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ICU વોર્ડમાં બન્નેની સારવાર ચાલુ હતી.

પતિના મોતના બે કલાકમાં બાદ પત્નીએ પણ દમ તોડ્યો આજે વહેલી સવારે 6 વાગ્યે રાજેન્દ્રભાઈ લખતરીયાનું સારવારમાં મોત નીપજ્યું હતું અને તેના બે જ કલાક બાદ 8 વાગ્યે પન્નાબેને પણ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃદતહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *