રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. જેમાં આજીનદી આસપાસ, રેલનગર માઘાપર પાસે આવેલ બેડી ચોકડીવાળા મોરબી હાઇવે આસપાસ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો હોવા અંગેની ફરિયાદો વધતા મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને આજી નદીમાંથી વેલ કાઢવા તેમજ આ તમામ વિસ્તારોમાં ડ્રોનથી દવાઓનો છંટકાવ અને ફોગિંગ સહિતની જરૂરી કામગીરી કરવાનાં આદેશ આપ્યા હતા. જેને લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી. પરંતુ કયુલેક્ષ મચ્છરોની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉપદ્રવની ફરિયાદમાં વધારો થયો હતો. મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ મચ્છર ન્યુસન્સ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આરોગ્ય શાખા મારફત ફોગિંગની કામગીરી શરૂ કરાવી હતી. આજી નદીની રૂબરૂ મુલાકાત દરમિયાન કમિશનરે મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂરી સૂચના પણ આપી હતી.