રાજકોટ ડિવિઝનના એક નિષ્ઠાવાન કર્મચારીની સમયસૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ છે. આ પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) પ્રદીપ કુમારે મુંબઈ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર જગદીશ પ્રસાદ બૈરવાને ‘મેન ઓફ ધ મંથ’ (જાન્યુઆરી-2025) સુરક્ષા પુરસ્કાર આપી સન્માનિત કર્યા છે.
ચાલુ ટ્રેને અનુભવાયો જોરદાર ઝટકો
આ ઘટના 15 જાન્યુઆરી 2026 ના રોજ બની હતી. જગદીશ પ્રસાદ બૈરવા ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ટ્રેન જ્યારે ભાટેલ અને ખંભાળિયા સ્ટેશનો વચ્ચે પસાર થઈ રહી હતી, ત્યારે તેમને અચાનક એક અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તેમણે તત્કાલ તે સ્થળને માર્ક કર્યું હતું.
વેલ્ડ ફ્રેક્ચરની સમયસર જાણ
ઝટકો અનુભવાતા જ બૈરવાએ લોકો પાઈલટનો સંપર્ક કરી પુષ્ટિ કરી હતી અને તુરંત જ ખંભાળિયા સ્ટેશન માસ્ટરને આ અંગે લેખિતમાં જાણ કરી હતી. આ માહિતી મળતા જ એન્જિનિયરિંગ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક પર ‘વેલ્ડ ફ્રેક્ચર’ જોવા મળ્યું હતું. જો આ બાબત ધ્યાને ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તકેદારીના ભાગરૂપે તે સેક્શન પર તાત્કાલિક 20 કિમી પ્રતિ કલાકનો સાવચેતી આદેશ (Speed Restriction) લાગુ કરી ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું.