રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનાં મનસુખ સાકરીયા સહિતના સભ્યો કેનાલમાં ભ્રષ્ટાચાર અને નકલી બિયારણ સહિતનાં મુદ્દે બેનરો પહેરીને પહોંચ્યા હતા. ચાલુ સભામાં ‘ચોર છે, ભાઈ ચોર છે, સિંચાઈ શાખા ચોર છે’નાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાને લઈને પ્રમુખ દ્વારા તેમને સામાન્ય સભાની ગરીમાં જાળવવા કહેવામાં આવતા શાસક અને વિપક્ષ વચ્ચે બોલાચાલીનાં દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે, વિપક્ષનાં આરોપોને કારોબારી સભ્ય રાજુ ડાંગરે ફગાવ્યા હતા અને તેમાં કોઈ જ તથ્ય નહીં હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જસદણ પંથકના કોંગ્રેસના સદસ્ય મનસુખ સાકરીયા સહિતનાએ સિંચાઈ વિભાગની કેનાલોમાં ભ્રષ્ટાચાર, કેનાલોમાં તિરાડો પાડવા અને જિલ્લામાં સંખ્યાબંધ બિયારણ કંપનીઓના મગફળીના બિયારણ વાવણી બાદ નિષ્ફળ જવાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ મુદ્દાઓની ચર્ચા દરમિયાન મનસુખ સાકરીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી તેમજ કારોબારી સદસ્ય રાજુભાઈ ડાંગર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી.