રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તેમજ આર્થિક રીતે પછાતવર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે રૂ.12 હજાર કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે જેમાં રાજકોટ જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન કુલ 5293 દીકરીને 6.35 કરોડની સહાય સીધી જ બેન્ક ખાતા મારફતે ચૂકવવામાં આવી હોવાના આંકડા જાહેર કરાયા છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો સૌથી વધુ લાભ રાજકોટ શહેર અને તાલુકાને મળ્યો છે.
રાજકોટ વિકસતી જાતિ સમાજ કલ્યાણ વિભાગ કચેરીના સત્તાવાર આંકડા મુજબ જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન રાજકોટ જિલ્લામાં સામાજિક પછાતવર્ગની 3681 અને આર્થિક પછાતવર્ગની 1612 દીકરીને સરકારની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં પ્રત્યેક દીકરીને રૂ.12 હજાર લેખે વર્ષ દરમિયાન કુલ 5293 દીકરીને રૂ.6,35,16,000 સહાય ચૂકવવામાં આવી હતી. સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દેવકરણ પીપળિયાએ ઉમેર્યું હતું કે, સરકારની આ યોજનાના લાભ માટે લાભાર્થી પરિવારે કચેરીનો ધક્કો ખાવો પડતો નથી. લગ્નના બે વર્ષની અંદર ફોર્મ સાથે પુરાવા જોડી બેન્કની વિગતો રજૂ કર્યેથી કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે.
જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલા લાભાર્થી ધોરાજીમાં 384 (રૂ. 46,08,000) , ગોંડલમાં 430 (રૂ. 51,60,000) , જામકંડોરણામાં 292 (રૂ.35,04,000) , જસદણમાં 429 (રૂ. 51,48,000) , જેતપુરમાં 416 (રૂ. 49,92,000) , કો.સાંગાણીમાં 1 56 (રૂ. 18,36,000) , લોધિકામાં 141 (રૂ. 16,92,000) , પડધરીમાં 169 (રૂ. 20,28,000) , રાજકોટમાં 2182 (રૂ. 2,61,84,000) , ઉપલેટામાં 287 (રૂ. 34,44,000), વીંછિયામાં 410 (રૂ. 49,20,000) , કુલ 5293 (રૂ. 6,35,16,000).