વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાને હરિયાળુ બનાવવા પ્રતિ વર્ષ નર્સરીઓમાં રોપા ઉછેરની કામગીરી ચોક્કસ લક્ષ્યાંક સાથે કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 13 નર્સરીઓ મળી ખેડૂતોને ઉપયોગી વૃક્ષો, ઔષધીય ગુણ સહિતના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે શહેર અને જિલ્લામાં એક જ વર્ષમાં 566 હેક્ટરમાં 7 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં મુંજકા નર્સરી ખાતે 1.11 લાખ, કણકોટ નર્સરી ખાતે 40 હજાર, લોધિકા તાલુકામાં વાવડી નર્સરી ખાતે 1.70 લાખ, દેવગામ નર્સરી ખાતે 1.14 લાખ, પડધરી તાલુકામાં નારણકા નર્સરી ખાતે 1.91 લાખ, જસદણ તાલુકામાં વિવેકાનંદ નર્સરી ખાતે 1.81 લાખ, ગોંડલ તાલુકામાં આશાપુરા નર્સરી ખાતે 2.21 લાખ, જેતપુર તાલુકામાં મેવાસા નર્સરી ખાતે 70 હજાર, પુનિત નર્સરી ખાતે 96 હજાર, ધોરાજી તાલુકામાં ભોળા નર્સરી ખાતે 1.71 લાખ, જાકંડોરણા તાલુકાના દૂધીવદર નર્સરી ખાતે 1.25 લાખ અને ઉપલેટા તાલુકામાં મોજ ડેમ નર્સરીમાં 1.71 રોપા ઉછેરવામાં આવે છે. આમ નાના મોટા મળી વર્ષે 18 લાખ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવે છે. વનીકરણ યોજના અંતર્ગત ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ યોજના અને વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના દ્વારા ખેતરના શેઢે વૃક્ષારોપણ કરાય છે.