આગામી તા.22મીના રોજ રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન અંતર્ગત 1 વર્ષથી 19 વર્ષના 4.5 લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટર, સબસેન્ટર અને તેમના સેજાના ગામોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણીના ભાગરૂપે કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. બાળક સામાન્ય બીમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ ગોળી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય કૃમિનાશક ગોળી ખવડાવવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરાઇ છે.
જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલનમાં આરોગ્યની ટીમ અંદાજે 4.5 લાખ બાળકોને કૃમિનાશક ટેબ્લેટ અપાશે. ઉપરાંત તા.29ના રોજ આરોગ્ય ટીમ દરેક ઘરની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, 22મીના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના 1થી 19 વર્ષની વય જૂથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબ્લેટ અપાશે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઊણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઊલટી તથા ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે.