રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 માર્ચ, 2026ના દિવસે દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા. જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છેલ્લે આરોપી પાસે રૂપિયા 5 લાખની માંગણી પણ કરવામાં આવતી હતી.
જેના કારણે રોષે ભરાયેલા ભરવાડ બંધુઓએ સમાધાન માટે બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી હત્યા નિપજાવી હતી. આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપકડ બાદ આજે વધુ એક મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચે હમીરને અંકલેશ્વરથી દબોચ્યો શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, 16 માર્ચ, 2026ના રોજ રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેઇટ નજીક ભાવેશ વણવી નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપીઓએ સમાધાન માટે બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી ભરવાડ બંધુઓએ ભાવેશની હત્યા નિપજાવી હતી.
આ કેસમાં પોલીસે તાત્કાલિક પ્રથમ ત્રણ આરોપી રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરી હતી. આ પછી 3 એપ્રિલ સુધી મુખ્ય આરોપી હમીર જોગરાણા નાસ્તો ફરતો હતો. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચે હમીરને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો.