રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર કાર્ગો સર્વિસનો પ્રારંભ થયો છે. આ સુવિધા શરૂ થવાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને માલસામાનની હેરફેર માટે મોટી રાહત મળશે.
જોકે હાલ પૂરતી આ સેવા ફક્ત ડોમેસ્ટિક (ઘરેલુ) રૂટ માટે જ ઉપલબ્ધ રહેશે. આઉટ બાઉન્ડ કાર્ગો સેવાની શરૂઆત એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ સાથે અન્ય એરલાઈન્સ પણ આ સેવામાં જોડાવા માટે તૈયાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય એરલાઈન્સ 29મી ઓગસ્ટથી તેમની કાર્ગો સેવાઓ શરૂ કરશે. આનાથી સ્પર્ધા વધશે અને ગ્રાહકોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.
વેપારીઓ માટે સૌથી મહત્ત્વનો મુદ્દો કાર્ગોના દર (રેટ)નો હોય છે. હાલમાં ઓથોરિટી દ્વારા રેટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે એકથી બે દિવસમાં જાહેર થવાની શક્યતા છે.
આ નવી સેવા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગજગત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે હવે માલસામાનને અમદાવાદ કે અન્ય શહેરોથી મોકલવાને બદલે સીધો રાજકોટથી જ મોકલી શકાશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.