અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી આયુષ્માન કાર્ડ કાઢવાનું કૌભાંડ પકડ્યું છે જોકે આના કરતા જબરૂ કૌભાંડ પાંચ વર્ષ પહેલાં રાજકોટમાં થયું હતું. અધધ 9000 ડમી આયુષ્માન કાર્ડ નીકળ્યા હતા જેને રદ કરાયા હતા અને ઓપરેટર સસ્પેન્ડ કરાયા હતા પણ બીજી કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આયુષ્માન યોજના લોંચ કરવામાં આવી એટલે તેના લાભાર્થીઓ નક્કી કરવા માટે તે સમયે આકરી શરત હતી. 2011માં થયેલા સરવેમાં જે લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા તેમના નામ નોંધાયા હતા અને દરેક કોડ નંબર અપાયો હતો. આ કોડ નંબર હોય તેમના જ કાર્ડ નીકળતા હતા. પાંચ લાખ રૂપિયાની મફતમાં સારવાર મળે તે માટે અનેક લોકો તૈયાર હતા પણ તેઓ લાભાર્થી ન હતા. જેનો વચ્ચેનો રસ્તો કૌભાંડીઓએ શોધી કાઢ્યો હતો. જે લોકોના આયુષ્માન કાર્ડ નીકળી ગયા હતા તેમના કાર્ડમાં પરિવાર તરીકે અન્ય લોકોને ઉમેરવાના શરૂ કર્યા હતા અને દરેક વ્યક્તિ દીઠ 700 રૂપિયા લેવાતા હતા.