રાજકોટમાં 5000 ટુ વ્હીલર – 1200 કારનું વેચાણ

ધનતેરસના નવા વાહનોની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે રાજકોટમાં આજે 1200 જેટલી કાર તો 5000થી વધુ ટુ વ્હીલરનું વેચાણ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવતા વાહનો સસ્તા થયા છે. કારમાં રૂ. 60 હજારથી રૂ.1 લાખ તો ટુ વ્હીલરમાં રૂ.10 હજારથી રૂ. 20 હજારનો ઘટાડો થયો છે. જેનો લાભ ગ્રાહકોએ લીધો હતો.

હરિન ભાયાણીએ જણાવ્યું હતું કે, આજે ધનતેરસના દિવસે અમે સ્વીફ્ટ કારની ખરીદી કરી છે. આજે સારું મુહૂર્ત હોવાથી નવા વાહનની ખરીદી કરવામાં આવી છે. ચાર દિવસ પહેલા જ કારનું બુકિંગ કરાવ્યું હતું અને અતુલ મોટર્સ દ્વારા તાત્કાલિક ધનતેરસના દિવસે ડિલિવરી પણ આપવામાં આવી છે. GSTમાં ઘટાડો થવાને કારણે કાર સસ્તી થઈ છે જે બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. આજે કારની ખરીદી કરી અમે પરિવારજનો પણ ખુશ છીએ.

જ્યારે અતુલ મોટર્સના સેલ્સ મેનેજર નિશા ટાંકે જણાવ્યું હતું કે, આજે ધનતેરસના દિવસે અતુલ મોટર્સની અરેના અને નેકસાની 150 કારની ડીલેવરી છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 1200 જેટલી કારનું આજના દિવસે વેચાણ થયું હશે. જેમાં મારુતિની કાર જ 500 જેટલી હશે. એડવાન્સ બુકિંગ અને પેમેન્ટ કરવામાં આવ્યું હોય તે કારની RTO ની પ્રોસેસ અમે તૈયાર કરીને રાખ્યું હતું અને આજના દિવસે એટલે કે ધનતેરસે તેની માત્ર ડીલીવરી કરવાની હોય છે. જે આજે સવારથી સાંજ સુધી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *