રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જાહેર કરાયુ છે. આ મુદ્દત પૂર્ણ થતા જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી હતી. જોકે, હવે અહીં વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે, જેથી અહીં મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી વિના જમીન-મકાનની લે-વેંચ નહીં થઈ શકે.
25 સોસાયટીમાં ફરી અશાંતધારો લાગુ ધારાસભ્ય ડૉ. શાહે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં વોર્ડ નં.2ની છોટુનગર કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, સ્વસ્તિક સોસાયટી, આરાધનપા સોસાયટી, દિવ્ય સિધ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજલી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી સહિતના 28 સોસાયટી વિસ્તારોમાં સામાજીક સંતુલન જળવાય રહે અને મિલ્કતોના ખરીદ-વેચાણમાં ગેરરીતિ અટકાવવાના ઉદ્દેશ સાથે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત ગત 13 જાન્યુઆરીના વિધિવત રીતે પૂર્ણ થઇ ગઈ હતી. જે માટે છેલ્લા 6 માસથી થઈ રહેલી રજૂઆત બાદ 17 જાન્યુઆરીએ ગૃહ વિભાગ દ્વારા આ 28 સોસાયટીની અશાંતધારા મુદ્દત 16 જાન્યુઆરી, 2031 સુધી લંબાવવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.