છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો વહેંચતા લોકો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી એમ્બરગ્રીસના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ આરોપીની રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાજકોટ આ જથ્થો વહેંચવા માટે આવ્યા હતા અને ગ્રાહકની શોધમાં હતા ત્યારે SOGએ ઝડપી પાડ્યા હતા.
રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલ્ટી સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે 2.96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીના નામ નરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.51), પરેશ ચંદ્રકાંત શાહ (ઉ.વ.66) અને આશીષ સુરેશ ભટ્ટ (ઉ.વ.48) છે, જે મૂળ સુરેન્દ્રનગરના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલ આરોપી નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સૂત્રધાર છે અને તેને બાબરાનો શખસ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) આપી ગયો હતો. તેણે અન્ય બે શખ્સો સાથે મળી રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરતા શાસ્ત્રી મેદાન પાસે પહોંચતા SOG દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.