રાજકોટ શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરની નંદવાણાં બોર્ડિંગ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનોખા સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠનું આયોજન કરાયુ હતુ. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવની આરાધના કરવામાં આવી હતી. વિવિધ જ્ઞાતિના લોકો જોડાતા સામાજિક સમરસતાના દર્શન થયા હતા. આ સમયે સમગ્ર સંકુલ ‘હર હર મહાદેવ’ અને ‘નમઃ શિવાય’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતુ.
બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે, બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ પાઠાત્મક લઘુ રુદ્રનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં માત્ર બ્રહ્મ સમાજ જ નહીં પરંતુ વિવિધ જ્ઞાતિના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહીને મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતુ. આ આયોજન દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.