રાજકોટ મનપા દ્વારા લીકેજ રીપેરીંગની કામગીરીનાં બહાને વધુ એકવખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઇન જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ 14 ફેબ્રુઆરીને બુધવારે બે વોર્ડનાં અમુક વિસ્તારો તેમજ 15 ફેબ્રુઆરીને ગુરુવારે 4 વોર્ડનાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ તા. 14 ફેબ્રુઆરી બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં. 12(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરાંત તા. 15 ફેબ્રુઆરી ગુરુવારનાં ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના (વોર્ડ નં. 7 પાર્ટ,14 પાર્ટ,17 પાર્ટ), તેમજ નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. મનપા દ્વારા મુકવામાં આવેલા આ પાણીકાપનાં કારણે હજારો લોકો તરસ્યા રહેશે.