રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અંતે મનપાનું તંત્ર જાગ્યું છે અને રાજકોટ મનપાનાં બધા કોમ્યુનિટી હોલને ફાયર સેફટીથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આગામી ઓગસ્ટ મહિનાથી 2 સિવાયના તમામ હોલનાં નવા બુકિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. ચાલુ મહિનામાં લગ્નસરાની સિઝન છે. આ મહિનામાં જ લગ્નના મુહૂર્ત હોવાથી અનેક પરિવારો દ્વારા લગ્નસરા ગોઠવાયેલા હતા પણ મહાપાલિકાએ ખાનગી હોલ, પાર્ટી પ્લોટમાં સીલ મારવાની કરેલી કામગીરીને પગલે અનેક પરિવાર માટે સમસ્યાઓ ઉભી થઈ છે, ત્યારે હવે મનપાના લગ્ન હોલ પણ આગામી માસથી ફાયર સિસ્ટમ માટે બંધ કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર મહાપાલિકા પાસે 21 કોમ્યુનિટી હોલ છે. તેમાંથી એક હોલ રિનોવેશનમાં મૂકાયેલો છે. બાકીના 20 ચાલુ માસમાં 200 જેટલા બુકિંગ મળેલા છે અને આ માસ બાદ 18 હોલ ફાયર સેફ્ટીથી સજ્જ કરવા માટે બંધ કરવાના હોવાથી બુકિંગ બંધ કરવાનો નિર્ણય થયો છે. બાકીના બે હોલ અભય ભારદ્વાજ હોલ અને અમૃત થાયલ હોલમાં આધુનિક ફાયર સિસ્ટમ લાગેલી હોવાથી તેને ચાલુ રાખવામાં આવનાર છે.