રાજકોટમાં પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરનાર પત્નીને ત્રણ વર્ષથી મળતો શારીરિક-માનસિક ત્રાસ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાએ પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરતા પત્ની પર છેલ્લા ત્રણ વર્ષથી સિતમ ગુજારવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના રૈયાધાર 13 માળીયા ક્વાર્ટરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતા ભારતીબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ.39)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2006માં તેમણે પોતાના ફઈના દીકરા દિનેશ નાથાભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના 19 વર્ષ દરમિયાન તેમને સંતાનમાં બે બાળકો પણ છે જો કે છેલ્લા ત્રણ વર્ષથી દિનેશભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ ભારતીબેનને થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો. પતિ આ બાબતે કોઈ દખલગીરી ન કરવા કહી અવારનવાર મારપીટ કરતો હતો. ​

દિકરીની ધોરણ 10ની પરીક્ષા હોવાથી શાંતિ જળવાય તે હેતુથી ભારતીબેન છેલ્લા 20 દિવસથી રૈયાધાર બી-વિંગમાં રહેતા પોતાના સાસુ-સસરાના ઘરે રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ગત તારીખ 18.03.2026ના રોજ રાત્રે 10.30 વાગ્યે આરોપી દિનેશ ત્યાં પહોંચ્યો હતો અને પત્નીને બળજબરીથી પોતાના ઘરે આવવા દબાણ કર્યું હતું. ભારતીબેને ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ગાળો આપી, દરવાજા પર પાટા મારી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ‘જો તું નહીં આવે તો તને ધાબા પરથી નીચે ફેંકી દઈશ’ તેવી ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે ભારતીબેને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિનેશ નાથાભાઈ પરમાર વિરુદ્ધ BNS કલમ 85, 115(2), 351(3) અને 352 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *