આજે(27 જૂન) અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે, જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. રાજકોટમાં 26 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવશે અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે. આજની રથયાત્રામાં સતત બીજા વર્ષે અઘોરીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ અઘોરીઓ રસ્તામાં નૃત્ય તેમજ અવનવા કરતબો કરતા નજરે પડ્યા હતા.
એવું માનવામાં આવે છે કે જગન્નાનાથ પૂરીમાં આવેલા ભગવાનના નિજધામ સુધી દરેક ભક્તજનો પહોચી શકતા નથી તેના માટે દરેક શહેરમાં ભગવાન જગન્નાથને સ્થાપિત કરવામાં આવે છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. રાજકોટના રાજવી માંધાતાસિંહ તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આશ્રમ ખાતે પૂજા આરતી કરી અને બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને જે રથમાં બેસાડવામાં આવ્યા તે રથને અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે આજે સતત 18માં વર્ષે નીકળેલી રથયાત્રામાં નાના મોટા સૌ કોઈ અનેરી શ્રદ્ધા સાથે આ રથયાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર લોકોએ ભગવાનના રથનું સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.