રાજકોટમાં નિરાધાર બાળકો માટે પ્રભુ વત્સલ યોજના

રાજ્યમાં પ્રથમ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જન્માષ્ટમીના તહેવારમાં નવતર યોજના જાહેર કરી છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા તાલુકાઓની સ્કૂલોમાં પ્રભુ વત્સલ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા નિરાધાર બાળકો માટે અનુદાન એકત્રિત કરી તહેવાર પર કોઈ ભેટ સોગાદ આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત રાજકોટમાં 11 તાલુકાની સરકારી સ્કૂલમાં જે બાળકોના માતા- પિતા ન હોય અથવા દૂર રહેતા હોય તેવા 2,294 બાળકો માટે રૂ.2,50,224નું અનુદાન એકઠું કરવામાં આવ્યું છે. જે દાનથી પ્રભુ વત્સલ એટલે કે, નિરાધાર બાળકોને જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જામકંડોરણાની સરકારી સ્કૂલના 73 નિરાધાર બાળકો માટે રૂ.1,17, 668નુ અનુદાન એકઠું થયું છે. તે ઉપરાંત લોધિકાની સરકારી સ્કૂલમાં રૂ.50,400નું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. તો જેતપુરની સ્કૂલમાં રૂ.25,000નું દાન અને ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા 343 બાળકોને ફરસાણનું વિતરણ કરવામાં આવશે. આ રીતે તમામ 11 તાલુકાની સ્કૂલોમાં યોજના હેઠળ દાન સ્વીકારવામાં આવી રહ્યું છે. કોઈ પણ સારા પ્રસંગ અથવા જન્મદિવસ પર લોકો સ્વૈચ્છિક રીતે આ સ્કૂલોમાં અભ્યાસ કરતા નિરાધાર બાળકો માટે દાન કરી શકે છે. આ દાનની જમાં થતી રાશીની દેખરેખ રાખવા માટે પણ તાલુકા પ્રમાણે એક કમિટી નીમવામાં આવી છે. આ વર્ષે પ્રથમ પ્રયાસમાં કેટલીક સ્કૂલોમાં હજુ પણ દાન સ્વીકારવાની કામગીરી ચાલુ છે અને તેનો ઉપયોગ જન્માષ્ઠમીના પર્વ પર આ બાળકોને ફરસાણ અને મીઠાઈની સોગાત આપવામાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *