આગામી લોકસભા ચૂંટણીને લઈને હાલ ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરેશ ધાનાણીની આગેવાનીમાં સોરઠિયા વે બ્રિજ ખાતેથી સ્કૂટર રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે ધાનાણીએ સુરતની ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે, જ્યારે આવી બિનહરીફ ચૂંટણીઓની પરંપરા શરૂ થશે ત્યારે દેશમાં હાહાકાર મચી જશે, આ બંધારણ માટે ખતરો છે.
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે કોંગ્રેસના નેતાઓ સાથે DJના તાલે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોરઠિયા વે બ્રિજથી આ બાઈક રેલી વોર્ડ 16માં ફરશે. જેમાં 80 ફૂટ રોડ, કોઠારિયા રોડ, સૂતા હનુમાન રોડ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ રેલીમાં ધાનાણી ખુલ્લી કારમાં જોડાયા હતા. જ્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકરો બાઇકમાં જોડાયા હતા. ધાનાણી દ્વારા લોકોને હાથ જોડી કોંગ્રેસનો સાથ આપવા અપીલ કરવામાં આવી હતી.