રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પોતાના નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં શહેરના વોર્ડ નંબર 10માં રૂ.3.5 કરોડના અંદાજીત ખર્ચે ખાસ ફૂડ લેબોરેટરી બનાવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હજુપણ આ લેબોરેટરીનું નિર્માણ થયું ન હોવાથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા સેમ્પલ વડોદરા ખાતે મોકલવા પડે છે. જોકે ત્યાં પણ કામનો ભરાવો હોવાથી રિપોર્ટ આવવામાં 2-3 મહિના જેટલો સમય લાગી જાય છે.
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે વર્ષ 2025 દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા સતત ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 391 જેટલા નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. આ પૈકી આજે પણ કુલ 97 એટલે કે 25% કરતા વધુ રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી આવેલા રિપોર્ટમાં દૂધ અને દુધને લગતી વિવિધ બનાવટો તેમજ ધીમાં સૌથી વધુ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું છે જે સૌથી ચિંતાજનક બાબત કહી શકાય.
જાન્યુઆરી 2025થી લઈ ડિસેમ્બર 2025 સુધીમાં ફૂડ વિભાગની ટીમોએ વિવિધ ખાદ્યચીજોના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણનાં રિપોર્ટમાં સૌથી વધુ પૌષ્ટિક ગણાતા દૂધ, ઘી અને ડેરી પ્રોડક્ટ્સમાં સૌથી વધુ ભેળસેળ અને સબસ્ટાન્ડર્ડ ગુણવત્તા જોવા મળી હોવાનું સામે આવ્યું છે.