ટીબી હારેગા, દેશ જીતેગા’ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવી હતી.શહેરી ક્ષય કેન્દ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 25 ટીબીના દર્દીઓને આ કીટનું વિતરણ ગૌતમ માતંગી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાથી આવેલ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડો. મોહન અમલાણી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દર્દીઓને તપાસીને ક્ષય રોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય અધિકારી જયેશ વકાણી અને શહેરી ક્ષય અધિકારી પરેશ કડિયા દ્વારા દર્દીઓને નિયમિત સારવાર પૂર્ણ કરવા માટે આહવાન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા અને ‘સ્વચ્છોત્સવ’ અભિયાન હેઠળ તા. 21-22 સપ્ટેમ્બરના રોજ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ અને હાઈવે જેવા સ્થળોએ 4,430 સફાઈ કામદારોએ ભાગ લીધો હતો. આ બે દિવસ દરમિયાન કુલ 56 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ અભિયાન 31 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનનો હેતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓ માટે ‘લોનમેળા’નું આયોજન રાજકોટમાં “શહેરી વિકાસ વર્ષ-2025″ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરિયાઓ માટે “લોક કલ્યાણ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ નવી લોન અરજીઓ સ્વીકારવાનો અને બેંક લેવલે મંજૂરી માટે પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાનો હતો. આ પ્રસંગે મેયર નયના પેઢડીયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ. દર્શિતા શાહએ નવરાત્રી અને તાજેતરમાં જી.એસ.ટી.માં થયેલા ઘટાડા વિશે વાત કરી હતી.