રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર લોહિયાળ બન્યો છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર યુવકને એક મહિલા અને તેની સાથેના અન્ય શખસો દ્વારા છરીના 8 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાહેર રોડ ઉપર યુવકને છરીના ઘા માર્યા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના યુવકને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવકને મૃત જાહેર કર્યો હતો.
હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આ યુવકની જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. એક મહિલા અને તેની સાથેના અન્ય શખસો દ્વારા યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા.