રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે ચાંદીપુરાના એક સાથે 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ બપોરે વધુ 1 શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમરેલીના વડિયા કુંકાવાવમાં રહેતી 5 વર્ષની બાળકી ચાંદીપુરાના લક્ષણો સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને હાલ તેની સારવાર ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, રાજકોટની જનાના હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના 11 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 3 દર્દી પોઝિટિવ છે તો 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 5 દર્દીઓ એવાં છે કે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. એટલે કે, આ શંકાસ્પદ દર્દીઓ છે. આજે એક સાથે 3 શંકાસ્પદ દર્દીઓ હોવાનુ સામે આવ્યુ છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ પાસે રહેતા 5 વર્ષનાં બાળકને ચાંદીપુરાના લક્ષણો હોવાથી તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જે મૂળ દ્વારકાના જામરાવલનો રહેવાસી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના 2 વર્ષનું બાળક અહીં દાખલ કરવામાં આવ્યું છે. જેનું મૂળ વતન પાવાગઢ છે અને 2 માસ પહેલા જ પાવાગઢથી ધ્રાંગધ્રા આવેલું છે.