રાજકોટમાં એસિડ પી પ્રૌઢે કરી આત્મહત્યા

રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાતના બે કરુણ બનાવો સામે આવ્યા છે, જેમાં જામનગર રોડ પર રહેતા 70 વર્ષીય વૃદ્ધ અને નાનામવા રોડ પર રહેતા 54 વર્ષીય પ્રૌઢે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બીમારીના બેડરેસ્ટથી કંટાળીને અને અગમ્ય કારણોસર લેવાયેલા આ પગલાંઓને પગલે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બીમારી અને લાંબા આરામથી કંટાળી વૃદ્ધનો ગળેફાંસો પ્રથમ બનાવમાં, જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક મનહરપુર-1 ગામમાં રહેતા ભુપતભાઈ વાડોદરિયા (ઉ.વ. 70) એ વહેલી સવારે પોતાના ઘરે પાઈપ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્રણ મહિના પૂર્વે બાથરૂમમાં પડી જવાથી તેમનો ગોળો ભાંગી ગયો હતો, જેના ઓપરેશન બાદ ડોક્ટરોએ તેમને લાંબો સમય બેડરેસ્ટની સલાહ આપી હતી. સતત આરામથી કંટાળી ગયેલા ભુપતભાઈએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક પાંચ ભાઈઓ અને બે બહેનોમાં સૌથી મોટા હતા અને તેમને સંતાનમાં બે દીકરા તથા ચાર દીકરીઓ છે.

પ્રોવિઝન સ્ટોર સંચાલક પ્રૌઢનું એસિડ પી લેતા મોત બીજી ઘટનામાં, નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા અને ઘર પાસે જ પ્રોવિઝન સ્ટોર ચલાવતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉ.વ. ૫૪) એ રાત્રિના સમયે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાળુભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. પિતાના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે બંને મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આપઘાતના આ બંને બનાવોએ સ્થાનિક પંથકમાં ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *