ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે જુદા જુદા વિષયો ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળો પ્રતિસાદ મળ્યા હતો. આ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ, શિલ્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ આજરોજ સત્ત્વ ભવન જલારામ પ્લોટ-2 ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને જાણીતા યુવા કોલમિસ્ટ ડૉ. આશિષભાઈ શુક્લએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, આજના ટેકનોલોજી યુગમાં યુવાનોનું લેખન કાર્ય ઘટ્યું છે. શાળા – કોલેજ કક્ષાએ નિબંધ સ્પર્ધકોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ બાબતે જાગૃત થઈ યુવાનોએ લેખન પ્રવૃત્તિ તરફ વળવું જોઈએ. દેશની સંસ્કૃતિ, સામાજિક સમરસતા, અંધ શ્રદ્ધા, અયોગ્ય રીતરિવાજો, વ્યસન મુક્તિ વગેરે સમસ્યાઓનાં વિષયો ઉપર યુવાનોએ કોઈને કોઈ લેખન કાર્ય કરવું જોઈએ.
ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઇ દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં આજના યુવાનોને પોતાનું યોગદાન આપવું જોઈએ રોજ માત્ર એક કલાક કાઢીને સમાજના કલ્યાણની કોઈને કોઈ પ્રવૃત્તિમાં લાગી જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિના વિકાસમાં સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી હોય છે, તેથી તેનું ઋણ ચૂકવવું એ જરૂરી છે.