રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 3 નવેમ્બરના રવિવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર ભાઈબીજ નિમિત્તે બહેનો/મહિલાઓને અનોખી ભેટ આપવામા આવશે. ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે બીઆરટીએસ રૂટ પર કાર્યરત બસ સેવા તથા શહેરમાં કાર્યરત સિટી બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે.
મેયર નયનાબેન પેઢડિયા અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ જણાવ્યું હતું કે, ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે. ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે.