રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના વિકાસની 20 વર્ષની યશોગાથા વર્ણવીને સરકાર અને હોદ્દેદારોના વખાણ કરતા પ્રદર્શનનું આયોજન કર્યુ છે.
આ માટે નવનિર્મિત આર્ટ ગેલેરીમાં મનપાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકશે. આ ઉપરાંત મનપાના 522 કરોડના 49 પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરશે અને 22.57 કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થતા તેના લોકાર્પણ થશે.
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં 6 ગેલેરીમાં રાજકોટનુ એક્ઝિબિશન છે. જેમાં રાજકોટનો ઐતિહાસિક વારસો, રાજકોટની વિશિષ્ટતા, વડાપ્રધાન મોદીએ રાજકોટથી શરૂ કરેલી રાજકીય કારકિર્દી, વર્ષ 2005થી 2025 સુધીની શહેરની સફર, રાજકોટનું જળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ તેમજ શહેરી વિકાસ વર્ષ દર્શાવવામાં આવશે.
આ પ્રદર્શન તૈયાર કરવામાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને 20 દિવસ લાગ્યા છે અને તેનો લાભ 21-12-2025 એટલે કે એક મહિનો ચાલશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.