રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રેસકોર્સ મેદાનનો પ્રખ્યાત લોકમેળો આ વર્ષે ધરોહર મેળાના નામે યોજાઈ રહ્યો છે. 24 થી 28 મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા ફુલપ્રુફ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉદ્ઘાટન માટે રાજકોટ કલેકટર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવેલ છે. લોકમેળામાં 1,266 પોલીસ જવાનો અને 125 પ્રાઈવેટ સિક્યુરિટી તૈનાત રહેશે તો 5 ફાયર ફાઈટર અને 5 એમ્બ્યુલન્સ લોકોની સુરક્ષા માટે રાખવામાં આવશે. મેળામાં અર્વાચીન ગરબો, હુડો – ઢોલ તલવાર રાસ, આદિવાસી ધમાલ નૃત્યનું આકર્ષણ જોવા મળશે. જેમાં રમકડાના 140, નાની – મોટી રાઇડસના 45 સહિત 235 સ્ટોલ અને પ્લોટ છે. જેમાં લોકો માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવશે તો દરરોજ રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી આ લોકમેળામાં અંદાજે 12 લાખથી વધુ લોકો ઉમટી પડશે.
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે અને ઉંચા ઉંચા ફજત, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ માણતા હોય છે. એક અંદાજ મુજબ દર વર્ષે 12 લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.