રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે જેના કારણે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ જવા પામી છે જયારે ઘરની અંદર રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્રને ગૂંગળામણના કારણે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે આગનુ ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી માતા-પુત્રના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.બોરીસાગરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર શેરી નંબર 8માં આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં રાત્રીના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી જેના કારણે ફ્લેટમાં હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાખ થઇ ગઈ છે. આગ લાગી ત્યારે ઘરની અંદર રૂમમાં વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ.92) અને પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા જેમની ઉંમર આશરે 62 વર્ષ છે જેમને કોઈ બર્ન ઇન્જરી થવા પામી નથી પરંતુ ગુંગળામણ થવાના કારણે બેભાન હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.