રાજકોટની ભાગોળે કુવાડવા તાબેના રાજગઢ ગામમાં આવેલી રાજકોટના પોલીસમેનના પિતાની રૂ.1.5 કરોડની જમીન તેના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા શખ્સે પચાવી પાડતા આ મામલે કુવાડવા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં શહેરની ભાગોળે રાજગઢ ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ઘનશ્યામસિંહ લખુભા જાડેજા(ઉં.વ.63) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજગઢ ગામે જ રહેતા દેવાયતભાઈ દેહાભાઈ લાવડિયાનું નામ જણાવ્યું હતું.
ઘનશ્યામસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલમાં પોતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમની વારસાગત જમીન કે જે રાજકોટ તાલુકાના રાજગઢ ગામના ખેતીની જમીન સરવે નં.95 પૈકી 1 પૈકીની જમીન હે.આ.ચો.મી. 1-82-11ની જમીન ઉપર બાજુમાં જ જમીન ધરાવતા સરવે નં.89ના કબજેદાર દેવાયતભાઈ લાવડિયાનો કબજો જણાઇ આવતા જમીન ખાલી કરવા બાબતે જણાવતા તેમણે જમીન માપ્યા બાદ તમારી જમીન તમને આપી દઇશ એમ કહી હજુ સુધી પોતાની જમીનની માપણી કરી ન હતી અને તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડેલ જે જમીનની કિંમત હાલમાં રૂ.1.5 કરોડ છે.