શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણીના યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.39.49 કરોડના ખર્ચે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પ્લાન્ટ દરરોજ 1.74 કરોડ લિટર(17.40 M/ld) ગંદા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટ પૂર્વ વિસ્તારની ડ્રેનેજ લાઈનો પરનું ભારણ ઘટાડશે અને ગંદા પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરશે.
આ સુવિધાના સંચાલન માટે પાલિકાએ 5 વર્ષ સુધી નિષ્ણાત એજન્સીની દેખરેખ હેઠળ કામ ચલાવવાનું નક્કી કર્યું છે. જેનાથી મનપા પાસે રિટ્રીટ વોટરની ક્ષમતા અને જથ્થામાં વધારો થશે અને પૂર્વ ઝોનની ગંદા પાણીની સમસ્યામાં પણ રાહત થશે.
પાણી શુદ્ધ કરવાની સિક્વન્સિયલ બેચ રિએક્ટર પદ્ધતિ આ રીતે કામ કરે છે ગંદા પાણીને પાંચ અલગ-અલગ તબક્કામાં એક જ ટેન્કમાં શુદ્ધ કરવામાં આવે છે. પાણીમાં હવા(ઓક્સિજન) ઉમેરાય છે જેથી કુદરતી બેક્ટેરિયાનો વિકાસ થશે અને તે અશુદ્ધિઓ ખાઈ જાય છે.
થોડા જ કલાકોમાં પાણીની ગંદકી(ઓર્ગેનિક મેટર) ખાઈ જતા બેક્ટેરિયાની એક સ્લરી કે કાદવ બને છે જે તળિયે બેસી જાય છે અને ઉપર પાણી રહે છે. કાદવ સુધીના પાણીને બીજા ટેન્કમાં મૂકી સ્લરીનો ઉપયોગ બેક્ટેરિયાના કાચા માલ તરીકે આગળના પાણીના નવા જથ્થામાં ઉમેરી આ પ્રક્રિયા રિપીટ કરાય છે. આ પદ્ધતિમાં પાણી શુદ્ધ થાય છે કે તે ફરીથી અન્ય કામો જેવા કે કન્સ્ટ્રક્શન અને ગાર્ડનિંગમાં વાપરવા માટે યોગ્ય બને છે.