પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં લેવાયેલા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો, ખાસ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) દરમાં કરવામાં આવેલા ઘટાડા અને કૃષિ તથા સહકારી ક્ષેત્રે હાથ ધરવામાં આવેલા સુધારાઓને પગલે દેશભરના કરોડો ગ્રાહકો, વેપારીઓ અને ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે. પરિણામે, કૃષિ, ડેરી અને સહકારી ક્ષેત્રમાં વાસ્તવમાં ‘અચ્છે દિન’નું વાતાવરણ સર્જાયું છે. આ લાભોને બિરદાવતા, રાજકોટના બેડી સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના કુલ 500 જેટલા વેપારીઓ અને ખેડૂતોએ એકસાથે આવીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખીને પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે.
જી.એસ.ટી.માં ઘટાડાને કારણે ઘી, ડ્રાયફ્રૂટ, તેમજ અન્ય જીવન જરૂરિયાતની કરિયાણાની વસ્તુઓના ભાવોમાં થયેલા ઘટાડાની બજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. બેડી યાર્ડ ખાતે કરિયાણાનો વ્યાપાર કરતા ધવલભાઈ ચંદુભાઈ અજાણીએ આ અંગે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, જી.એસ.ટી.ના દરો ઘટતા ગ્રાહકો માટે વસ્તુઓ સસ્તી બની છે, જેના પરિણામે બજારમાં ઘરાકીમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોની ખરીદશક્તિ વધતાં અમારો વેપાર વધ્યો છે, અને ગ્રાહકોની સંખ્યામાં થયેલા વધારાથી અમારા જેવા નાના અને મધ્યમ વેપારીઓને સીધો લાભ મળી રહ્યો છે. આ નિર્ણય ખરા અર્થમાં વેપારલક્ષી છે અને તેનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે.