રાજકોટના જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ તેમના કાર્યકાળ દરમિયાન છેલ્લા બે વર્ષમાં ભ્રષ્ટાચારના 27 કેસોમાં અને 9 વર્ષમાં કુલ 117 કેસોમાં સજાઓની ઉપલબ્ધી મેળવતા આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનીત કર્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવી, એન્ટીકરપ્શન બ્યુરોના અધ્યક્ષ સમશેરસિંઘની ઉપસ્થિતિમાં લોખંડી પુરૂષ સરદાર પટેલના સ્ટેચ્યુનો મોમેન્ટો અર્પણ કર્યો હતો. એસ.કે. વોરાએ પોક્સો કાયદા હેઠળના દુષ્કર્મના આરોપીઓ સામેના 27થી વધુ કેસોમાં 10 વર્ષથી આજીવન કેદની સજાઓ અપાવી છે. તેમજ ભ્રષ્ટાચાર અને નશાકારક પદાર્થના તમામ કેસો સ્વતંત્રપણે પોતાના હસ્તક રાખી અઢી વર્ષના ટુંકાગાળામાં 30થી વધારે કેસોનો સજા સ્વરૂપે નિકાલ કરેલો છે. ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યાના કેસોમાં સજાઓ અપાવવા બદલ સંજય વોરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં રાજકોટ જિલ્લાના સજાઓના કેસોનો 31%નો સૌથી ઉંચો દર મેળવ્યો છે.