રાજકોટ શહેરમાં અનેક સ્થળે બાંધકામો કરાઈ રહ્યા છે. જેને લઈને દરરોજ ટનબંધ બાંધકામ તેમજ કન્સ્ટ્રક્શન વેસ્ટ નીકળતો હોય છે. આવા વેસ્ટનો આડેધડ નિકાલ કરવા સામે હવે મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તાજેતરમાં મનપા દ્વારા શહેરના નાનામૌવા ચોકનાં પ્લોટમાં બાંધકામ વેસ્ટ ફેંકનારને રૂ. 5,000નો દંડ કરાયો હતો. ત્યારે આજે રૈયાગામ પાસે જાહેરમાં બાંધકામ વેસ્ટનો નિકાલ કરનાર ટ્રેકટરચાલક પાસેથી રૂ. 7,500 વસુલ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પ્લાન રદ્દ કરવા સુધી પગલાં લેવા મ્યુ. કમિશનર દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે.
વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.7,500નો દંડ કરાયો
પ્રાપ્ત વિગત મુજબ નિર્મળ ગુજરાત-2.0 અભિયાન અંતર્ગત રૈયાગામ ખાતે બાંધકામ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.7,500નો દંડ કરાયો હતો. આજે સવારે જાહેરમાં બાંધકામ વેસ્ટ નાંખવા બદલ ટ્રેકટર નંબર GJ 03-DD-6176નાં ચાલક પાસેથી રૂ.7,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મકાનનું કામ ચાલું હોવાનો વેસ્ટ હોવાની ખરાઇ કરી આ કાર્યવાહી કરવામાં આવી હતી.