રાજકોટ શહેરમાં વ્યાજખોરી અંગે ગુના દાખલ કરવાનો આરંભ થયા બાદ વધુ એક આવી ફરિયાદ નોંધાઇ છે. જેમાં પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા 52 વર્ષીય રેખાબેન મોહનભાઈ ખંડવીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે પાડોશી મહિલા મારફત વ્યાજે લીધેલા રૂ. 3 લાખ પૈકી 2.50 લાખ ચૂકવ્યા છતાં મહિલા સહિતના ત્રણ શખ્સો વધુ રૂ.4 લાખની ઉઘરાણી કરી અવારનવાર ગાળો અને ધમકી આપતા હોવાનું જણાવ્યું છે તેમજ વ્યાજખોરો તરીકે મહિલા સહિત ત્રણ લોકોના નામ આપતા બી-ડીવીઝન પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી રેખાબેન ચાંદી કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, વર્ષ 2001માં પતિ હરીશભાઈ ગોહિલ સાથે તેમના છૂટાછેડા થયા હતા. ત્યારથી પોતે પુત્રી ભાવિશા સાથે રહે છે. પુત્રી કારના શો-રૂમમાં પ્રાઇવેટ નોકરી કરે છે. વડીલોપાર્જિત મકાન ટાઇટલ ક્લીયર કરાવવા માટે રૂ. 3 લાખની જરૂર પડતા પોતે વ્યાજનાં ચક્રવ્યૂહમાં ફંસાઈ હતી. જેમાં શેરીમાં રહેતી 10 વર્ષ જૂની બહેનપણી મીનાબેન ડાયાભાઇ સોલંકી મારફત વિનોદભાઈ સોલંકી પાસેથી રૂ. 3 લાખ વ્યાજે લીધા હતા. આ રકમનાં વ્યાજ પેટે દર મહિને 10 ટકા લેખે વ્યાજ ચુકવવાનું નક્કી થયું હતું.