રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને કાર્યક્રમોને લઈ રાજપૂત સમાજની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. રાજપૂત સંકલન સમિતિના સભ્યો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 14 એપ્રિલના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે. જામ સાહેબને પણ મળી આમંત્રણ આપીશું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપર ગામ નજીક રામમંદિર સામે આવેલી જગ્યામાં મહાસંમેલન યોજાશે. રૂપાલાની ઉમેદવારી રદ થાય એવી માગ છે, સમાજમાં શુદ્ધિકરણ જરૂરી છે. દેશના વિકાસ માટે આ જરૂરી છે. આજે પાટણ, મુંદ્રા અને ધાંગધ્રામાં મોટું સંમેલન છે. આ પહેલાં ધંધૂકામાં સંમેલન થયું, જિલ્લે જિલ્લે સંમેલનો થયાં. પણ આ મુદ્દાને જાહેર જીવનમાં નૈતિકતાનું ધોવાણ થયું છે તેને અટકાવવાનો પ્રયાસ થાય તેવો દાખલો બેસાડવા માગીએ છીએ.