અમીનભાઈ કેશુભાઈ મકવાણા (ઉં.વ.35) આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી જતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમીનભાઇએ પોતે સિમેન્ટ, લોખંડ સહિતની હેરફેર માટેની રીક્ષા ચલાવે છે. તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાંથી દીકરી પત્ની પાસે છે અને દીકરો તેમની સાથે જ રહે છે કારણ તેઓના છૂટાછેડા થઇ ગયા છે. અગાઉ તેણે મકાન બનાવ્યું અને બીજા ઘરના ખર્ચા થતાં દેણામાં આવતા સરધારમાં સૂકી સાજડીયાળી રોડ પર આવેલ પોતાનો પ્લોટ વેચવા નક્કી કર્યું હતું. આ પ્લોટ તેના જ કૌટુંબિક બનેવીએ ખરીદવાનું નક્કી કર્યું હતું અને રૂ.10 લાખમાં સોદો થયો હતો. કૌટુંબિક બનેવીએ રૂ.1,00,000 આપ્યા હતા અને બાકીના 9 લાખ 15 દિવસ પછી આપી દઈશ તેમ કહી વિશ્વાસમાં લઈ લખાણ કરાવી લીધું હતું. પરંતુ બાકીના રૂ.9 લાખ આપ્યા ન હતા. આ અંગે અનેક વખત રૂપિયા માંગવા છતાં રૂપિયા આપ્યા ન હતા અને તેઓને ધમકી આપતા હોવાથી પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અંતે કંટાળીને ફિનાઈલ પી લીધું હતું જેથી તેઓ હાલ સારવાર હેઠળ છે જેનું નિવેદન લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
અન્ય બનાવ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસીયા ગામે ઝેરી દવા પી જનાર 25 વર્ષીય વનરાજ ભાલારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વનરાજ વજુભાઈ ભાલારા (ઉ.વ.25) ગઈ તા.30.09.2025ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે ગામમાં પોતાની વાડીએ ઝેરી દવા પી જતા પ્રથમ બોટાદ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે 04.10.2025ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિછિયા પોલીસને કરતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી યુવાને ક્યાં કારણો સર ઝેરી દવા પી આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન ફર્નિચર કામ કરતો હતો અને પોતે બે ભાઈ તેમજ એક બહેનમાં નાનો હતો અને તે પોતે અપરણિત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.