રાજકોટ શહેરમાં યુવતીએ તેના મંગેતર સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી શેરી નંબર 4માં રહેતી કાજલ પ્રકાશભાઈ સરવૈયાએ ચુનારાવાડમાં રહેતા તેના મંગેતર ચેતન રાજુભાઈ રાફુચા સાથે પોતાના ઘરે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને પાંચ મહિના પહેલા બંનેની સગાઈ નક્કી થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી કાજલ સરવૈયા તેની માતા સાથે રવિવારના રોજ વાંકાનેરના તિથવા ગામે તેના મામાને ઘરે ગઇ હતી. ત્યાંથી કોઈને કહ્યા વગર રાત્રે નીકળી ગઈ હતી અને ઘરે આવી પાડોશમાં રહેલી પોતાના ઘરની ચાવી લઈને બંધ ઘર ખોલી પોતાના મંગેતર સાથે મળીને ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું.
આ પછી ગઈકાલે (10 ફેબ્રુઆરી) યુવતીની માતા ઘરે આવી ત્યારે અંદરથી મકાન બંધ હોવાથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અંદર યુવતીએ તેના મંગેતર સાથે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવતા 108ને જાણ કરવામાં આવી હતી. જેના EMTએ આવી તપાસી બન્નેને મૃત જાહેર કરતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.