સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ આજે બપોરે 3:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના કાનજી ભુટા બારોટ રંગમંચ પર યોજાશે. કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પદવીદાન સમારોહમાં 42677 દીક્ષાર્થીને પદવીઓ અને 138 વિદ્યાર્થીને ગોલ્ડમેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. 59મા પદવીદાન સમારોહનું યુનિવર્સિટીના સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
મંગળવારે બપોરે 03.30 કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં નાદુરસ્ત તબિયતના કારણે રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના નથી. પરંતુ ISRO-SAC, અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પદવીદાન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42,677 દીક્ષાર્થીને પદવીઓ તથા 126 ગોલ્ડમેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરાશે. આ પદવીદાન સમારોહમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, ભવનોના અધ્યક્ષો, આચાર્યો, પ્રાધ્યાપકો, અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.