યુએનમાં નેતન્યાહૂના ભાષણનો બોયકોટ

યુનાઈટેડ નેશન્સ (યુએન) ખાતે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂના ભાષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં નેતન્યાહૂએ ભાષણ શરૂ કરતા જ ઘણા દેશોના રાજદ્વારીઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, નેતન્યાહૂએ બોલવાનું ચાલુ રાખ્યું.

નેતન્યાહૂએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઇઝરાયલે તેના બધા દુશ્મનોનો નાશ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલે યમનમાં હૂતિઓ, ગાઝામાં હમાસ, લેબનોનમાં હિઝબુલ્લાહ, સીરિયામાં અસદ અને સૌથી અગત્યનું, ઇરાનના પરમાણુ કાર્યક્રમનો નાશ કર્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વોરંટનો સામનો કરી રહેલા નેતન્યાહૂએ અમેરિકામાં UN સમિટમાં હાજરી આપવા માટે પોતાનો રૂટ બદલીને ન્યૂયોર્ક પહોંચ્યા. નેતન્યાહૂએ પાંચ યુરોપિયન દેશોના હવાઈ ક્ષેત્રને ટાળીને 600 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કર્યો.

નેતન્યાહૂએ કહ્યું કે ઈરાનનો બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ ફક્ત ઈઝરાયલનો નાશ કરવાનો નથી, પરંતુ અમેરિકાને ધમકી આપવા અને વિશ્વભરના દેશો પર દબાણ લાવવાનો પણ છે.

નેતન્યાહૂએ કહ્યું કે જ્યારે હું છેલ્લે યુએનમાં આવ્યો હતો, ત્યારે ઈરાન ઝડપથી તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું હતું, અને તેના પ્રોક્સિ, હમાસ અને હિઝબુલ્લાહ, સતત ઇઝરાયલને નિશાન બનાવી રહ્યા હતા. પરંતુ હવે ઇઝરાયલે આ જોખમોને દૂર કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *