રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે વોર્ડ 3માં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈને કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે રેલનગર વિસ્તારમાં રૂ. 119.05 કરોડના ખર્ચે નિર્માણ પામેલા EWS-2 પ્રકારના 1010 આવાસોની મુલાકાત લીધી હતી, જ્યાં કામગીરી પૂર્ણતાના આરે છે. આવાસ યોજનામાં સોલાર સિસ્ટમ, આંગણવાડી અને શોપિંગ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. કમિશનરે અહીં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા અને ટાઈલ્સ ફિટિંગની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
આ ઉપરાંત, તેમણે ન્યારા અને માધાપર ખાતે ચાલી રહેલા વોટર પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ન્યારા ખાતે રૂ. 18.16 કરોડના ખર્ચે 342.72 લાખ લિટર ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સંપ બની રહ્યો છે, જેનાથી 2 લાખ લોકોને લાભ થશે. તેમજ માધાપર વિસ્તારમાં રૂ. 31.75 કરોડના ખર્ચે 24.19 ML નો GSR અને 3 ML નો ESR પ્રોજેક્ટ કાર્યરત છે, જેનો લાભ 1.50 લાખ નાગરિકોને મળવાનો છે. ત્યારે લાખો લોકોની સુવિધાનાં આ કામમાં ગેરરીતિ નહીં ચાલે તેવી સ્પષ્ટ સૂચના આપી બાકી કામો નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા એન્જિનિયરોને કડક આદેશ આપ્યા હતા.
રાજકોટમાં લગ્ન નોંધણી બાબતે સામાજિક જાગૃતિનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો લગ્નના ઘણા દિવસો કે મહિનાઓ બાદ મેરેજ રજીસ્ટ્રેશન માટે જતા હોય છે, પરંતુ સચિનભાઇ વ્યાસના પરિવારે એક નવી મિસાલ રજૂ કરી છે. તેમની પુત્રી શિવાનીના લગ્ન સમીંદરસિંઘ સાથે ગઇકાલે હિન્દુ વિધિ મુજબ અને આજે ગુરૂદ્વારામાં સંપન્ન થયા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ આ નવદંપતી અને તેમનો પરિવાર સીધો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યો હતો.