રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તાર શેરી નંબર 10માં આવેલ મોનાર્ક સોની બજાર કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોનાર્ક કોમ્પ્લેક્ષમાં સૌથી ઉપરના મળે કારીગરી સોના ચાંદીના ઘરેણાં બફીંગ અને પોલીશ કરવાનું કામ કરતા હતા આ સમયે અચાનક આગ લગાવથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા 5 જેટલાં ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, આ આગ લાગવાની ઘટના બની તે સમયે 7થી 8 જેટલા કારીગરો અંદર કામ કરતાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ પૈકી મોટા ભાગના કારીગરો સાથે સંપર્ક થઇ ચુક્યો હતો અને બધા સલામત રીતે બહાર આવી ગયા હતા. એક વ્યક્તિનો સંપર્ક ન થઇ શક્યો હોવાનું પેઢી માલિકે જણાવ્યું છે.
ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચ્યા આગ લાગવાની ઘટના લગભગ રાત્રે 11.30થી 12 વાગ્યા વચ્ચે બની હોવાનું અને આગ લાગવાથી ગેસ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયા હોવાની માહિતી ચર્ચાઈ રહી છે. આગની દુર્ઘટનાની જાણ થતા સાથે જ ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા. બે કલાક જેટલો થવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાથી અરેરાટી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે, સોની બજારની શેરીઓ તમામ સાંકળી છે, તેથી ફાયર ફાઇટરને અહીંયા પહોંચવું મુશ્કેલ સાબિત થાય છે પરંતુ આમ છતાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.