બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે.
પીએમના આ નિવેદન સામે કોંગ્રેસ અને સીપીઆઈ-એમએ ચૂંટણીપંચમાં અલગ-અલગ ફરિયાદ કરી હતી. કોંગ્રેસે ચૂંટણીપંચને પીએમ મોદીના ‘સંપત્તિની વહેંચણી’ પરના નિવેદન પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું.
એ જ સમયે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ એક પોસ્ટમાં ચૂંટણીપંચને આ ફરિયાદ પર ધ્યાન આપવા અને પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે આ કેસમાં FIR નોંધવાની પણ માગ કરી હતી.