રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું. જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વ પૂર્ણ નિર્ણય કરી અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહિ કરે તો તેને રૂપિયા એક લાખનો દંડ અને સમાજ વચ્ચે માફી માંગવાની રહેશે. તેમજ ફરી નિયમનું ઉલ્લંઘન કરે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે.
રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 નવેમ્બરને શનિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે પાર્ટી પ્લોટમાં મૂળ હાલર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહિર સમાજના 450 પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં મુખ્ય 14 મુદ્દાઓ આવરી લેવામા આવ્યા છે અને આ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરશે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે.