રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા શહેરના સામાકાંઠે સંત કબીર રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં કરવામાં આવેલા બાંધકામનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાનગરપાલિકાની ટીપી (ટાઉન પ્લાનિંગ) શાખાએ આ બાંધકામ અટકાવીને નોટિસ ફટકારી છે.
આ ઘટનાને પગલે ભાજપના આંતરિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે, મેયર હોય કે સામાન્ય માણસ નિયમ બધા માટે સરખા હોય છે.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મામલે જણાવ્યું હતું કે, કાયદો અને નિયમો દરેક નાગરિક માટે સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકોટના પ્રથમ નાગરિક હોય કે સામાન્ય શહેરીજન, નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ મામલે તંત્રએ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ પણ આપી છે. પક્ષ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ દખલગીરી કરશે નહીં.