રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક ત્રિમંદિર પાસે રોડ ક્રોસ કરતી મહિલાને કારે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ચંદ્રિકાબેન રાવત (ઉ.વ.40) ખાખરાના કારખાનેથી કામ કરી પરત ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. મૃતકના દીકરી લલીતાદેવી રાવતએ જણાવ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે પૂજા પાર્કમાં રહે છે. મારા માતા-પિતા બાજુમાં જ રહે છે. મારા માતા ચંદ્રિકાબેન ત્રિમંદિર પાછળ આવેલા ખાખરાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા.
ગઈકાલે સાંજના 6.45 વાગ્યા આસપાસ હું તથા મારા પતિ બંને એસ.એન.જી. કારખાનું હડાળા ગામ ખાતે હતા ત્યારે મારા ભાઈ યુવરાજનો મારા પતિના ફોનમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ત્રિમંદિર સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કુવાડવા તરફથી આવતી ફોરવીલ ગાડી અડફેટે લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે. હાલ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે અકસ્માત સર્જનાર કાર GJ-13-AX-6639ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચંદ્રિકાબેનને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. પતિ કિશનસિંહ ટ્રક ડ્રાઇવર છે. તેઓ ટ્રક લઈ ચેન્નઈ ગયા હતા બનાવ બાદ તેમને પત્નીના મોત અંગે જાણ કરવામાં આવી હતી.